દેશમાં અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. ત્યારે અમદાવાદમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 33 થી પણ વધારે પહોચી છે
અમદાવાદમાં આજે 11 નવા કોરોનાના કેસ નોંધાયા છે. બોડકદેવ, થલતેજ, સાબરમતી, વટવા, જોધપુર અને એસ.પી સ્ટેડિયમ વિસ્તારમાં કેસ નોંધાયા છે. જેમાં સાત પુરુષ અને ચાર મહિલાઓ છે. જ્યારે છ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. જેમાં દુબઇ, કજાકિસ્તાન, કેરાલા, હૈદરાબાદ, અમેરિકા અને કેનેડાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. ત્યારે આજના કુલ 33 જેટલા એક્ટિવ કેસ નોંધાયેલા છે.
કોવિડ-19 કેવી રીતે ફેલાય છે?
કોવિડ-19 સામાન્યપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે, ઉધરસ ખાય, છીંક ખાય અથવા ગાય ત્યારે વાઇરસ ધરાવતા કણો તેમનામાંથી અન્ય લોકો પર ફેલાઈ શકે છે.
કોવિડ-19નાં લક્ષણો
નવી અથવા વધુ ને વધુ થતી જતી ઉધરસ, તાવ, શ્વાસ ચડવો, ગળું છોલાવું. છીંક આવવી અને નાક વહેવું, ટૂંકા ગાળા માટે સૂંઘવા અને સ્વાદ પારખવાની સંવેદના જતી રહેવી, ઝાડા, માથું દુખવું, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીર દુખવું, ઊબકા, ઊલટી, અસ્વસ્થતા-અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી, બીમારી અથવા થોડી પ્રતિકૂળતા લાગવી, છાતીમાં દુ:ખાવો, પેટમાં દુ:ખાવો, સાંધામાં દુઃખાવો થવો, મૂંઝવણ અને ચીડિયાપણું વગેરે કોવિડ-19નાં લક્ષણો છે. કોવિડ-19ની સારવાર JN.1 વેરિયન્ટમાં અસરકારક છે તેમજ RTPCR ટેસ્ટિંગ દ્વારા ડિટેક્ટ થઈ શકે છે.





